પરંપરાના નામે સમુદ્રમાં ૭૦૦થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની ઘાતકી હત્યા
ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ એવા ફારો આઈલેન્ડ્સ (Faroe Islands) પરથી માનવતાને શર્મસાર કરતી અને પર્યાવરણપ્રેમીઓ કંપાવી મૂકે તેવી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં સદીઓ જૂની પરંપરાના નામે માત્ર એક જ દિવસમાં ૭૦૦થી વધુ નિર્દોષ વ્હેલ અને ડોલ્ફિન માછલીઓનો સામૂહિક શિકાર કરવામાં આવ્યો છે. આ ભયાનક નરસંહારને કારણે સમુદ્ર કિનારાનું પાણી લીટરબંધ લોહી વહી જવાથી સંપૂર્ણપણે લાલચોળ થઈ ગયું હતું. સ્થાનિક સંસ્કૃતિમાં આ લોહિયાળ પ્રથાને ‘ગ્રીંડાદ્રાપ’ કે ‘ગ્રાઇન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.
શું છે આ ક્રૂર ‘ગ્રીંડાદ્રાપ’ પ્રથા?
આ પ્રથા અંતર્ગત સેંકડો શિકારીઓ હોડીઓ લઈને દરિયામાં જાય છે અને લોન્ગ-ફિન્ડ પાયલટ વ્હેલ તથા એટલાન્ટિક વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિનના ઝુંડને ચારેય તરફથી ઘેરી લે છે. ત્યારબાદ આ અસહાય જળચર જીવોને જબરદસ્તીથી દરિયાના ઓછા ઊંડાણવાળા કિનારા તરફ ધકેલવામાં આવે છે. કિનારે લાવ્યા બાદ સ્થાનિક લોકો હૂક અને ધારદાર ચપ્પુ વડે આ પ્રાણીઓ પર તૂટી પડે છે અને અત્યંત બેરહેમીથી તેમને કાપી નાખે છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ લોહિયાળ ખેલને જોવા માટે કિનારા પર માસૂમ બાળકો સહિત સેંકડો સ્થાનિક લોકો ઉત્સાહભેર એકઠા થયા હતા. બાદમાં આ પ્રાણીઓના માંસને ખાવા માટે વહેંચી દેવાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત પોલીસના વહીવટી માળખામાં મોટો ફેરફાર
માત્ર ૨૪ કલાકમાં ૭૦૬ જીવો આભડાયા: તરફડીને તૂટ્યા શ્વાસ
એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થાના અહેવાલ મુજબ, વ્હેલ અને ડોલ્ફિનના શિકારની આ હૃદયદ્રાવક ઘટનાઓ ૨૭ મેના રોજ સ્કોટલેન્ડથી આશરે ૨૦૦ માઈલ ઉત્તરમાં આવેલા ફરોએ દ્વીપના ત્રણ અલગ-અલગ દરિયા કિનારે એકસાથે બની હતી.
ટોર્શાવન કિનારો: અહીં સૌથી વધુ પ્રહાર થયો હતો, જેમાં ૪૦૨ પાયલટ વ્હેલ અને ૪ બોટલનોઝ ડોલ્ફિનને મોતને ઘાટ ઉતારાઈ હતી.
સ્કાલાબોટનુર કિનારો: આ આઇલેન્ડ પર ૧૬૮ વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિનનો શિકાર કરાયો હતો.
હ્વાલવિક કિનારો: અહીં અન્ય ૧૩૨ ડોલ્ફિન માછલીઓની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
એક્ટિવિસ્ટ્સના જણાવ્યા અનુસાર, શિકારીઓએ આ પ્રાણીઓને મારવામાં જાણીજોઈને ઘણો લાંબો સમય લીધો હતો, જેના કારણે આ મૂર્છિત અને ઘાયલ જીવો કલાકો સુધી કિનારાની રેતી પર અસહ્ય પીડાથી તરફડતા રહ્યા હતા.
સંસ્કૃતિ અને ક્રૂરતા વચ્ચેનો વૈશ્વિક વિવાદ
આ અમાનવીય ઘટના સામે આવતા જ સમગ્ર વિશ્વમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના કારણે સદીઓ જૂની પરંપરા પર સવાલો ઊભા થયા છે.
આ અમારી ૧,૦૦૦ વર્ષ જૂની વાઇકિંગ સંસ્કૃતિ છે: સ્થાનીય લોકો
શિકારનું સમર્થન કરતા સ્થાનિક લોકો અને વહીવટી તંત્રનું કહેવું છે કે, આ પ્રથા વાઇકિંગ યુગથી ચાલી આવે છે અને તે તેમની સંસ્કૃતિનો અવિભાજ્ય અંગ છે. આ શિકાર કોઈ મનોરંજન માટે નથી, પરંતુ આખા સમુદાયને શિયાળા માટે પૌષ્ટિક ખોરાક પૂરો પાડવા માટે કરવામાં આવે છે.
નવો સંસદીય કાયદો બન્યો કાળમુખો: એક્ટિવિસ્ટ્સનો દાવો
બીજી તરફ પ્રાણી અધિકાર સંગઠનો આ પ્રથાને આધુનિક યુગના નામે કલંક અને અત્યંત પછાત માનસિકતા ગણાવી રહ્યા છે. આ ઘટના પાછળ એક મોટો રાજકીય વળાંક એ પણ સામે આવ્યો છે કે, શિકારના બરાબર એક દિવસ પહેલા એટલે કે ૨૬ મેના રોજ જ ફરોએ આઇલેન્ડની સંસદે પોતાના પશુ કલ્યાણ કાયદામાં સુધારો કરીને ડોલ્ફિનને મળતું કાનૂની સંરક્ષણ જ નાબૂદ કરી દીધું હતું, જેથી શિકારીઓને આ ખૂની ખેલ ખેલવાનો ખુલ્લો દોર મળી ગયો.
